સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા આજથી તા. રર ફેબ્રુઆરી ર૦ર૧ સુધી સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાયેલા સુરત સ્પાર્કલ પ્રદર્શન દરમ્યાન બપોરે ‘ઇનોવેશન્સ ઇન રિયલ એન્ડ લેબગ્રોન ડાયમંડ એન્ડ ટેકનોલોજીકલ ગ્રોથ ઇન જ્વેલરી ઇન્ડસ્ટ્રીઝ’વિષય ઉપર સેમિનાર યોજાયો હતો. જેમાં નિષ્ણાંત વકતા તરીકે લેકસસ ગૃપના ડાયરેકટર એન્ડ કો–ફાઉન્ડર ઉત્પલ મિસ્ત્રીએ મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું.
ઉત્પલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, નેચરલની સાથે હવે લેબગ્રોન ડાયમંડ પણ માર્કેટમાં પૂરજોશમાં આવી ગયા છે. આથી વર્ષ ર૦ર૦–ર૦૩૦ દરમ્યાન દસ વર્ષમાં કયા પ્રકારની નવી ટેકનોલોજી ડાયમંડ જ્વેલરી ક્ષેત્રમાં આવશે? તેની વિસ્તૃત માહિતી તેમણે આપી હતી. તેમણે એકસ–રે, ૩ ડી વર્ચ્યુઅલ ડાયમંડ (મેક ટુ ઓર્ડર) અને કલાઉડ (સિકયોર્ડ ડાટા) વિશે વેપારીઓ તથા ઉદ્યોગકારોને સમજણ આપી હતી.
સેમિનાર બાદ પેનલ ડિસ્કશન યોજાઇ હતી. જેમાં અંકીત જેમ્સના ડાયરેકટર પ્રિયાંશ શાહ, એલ્વી જ્વેલ્સના ડાયરેકટર કલ્પેશ વઘાસિયા, સુરત જ્વેલરી એસોસીએશનના પ્રમુખ સલીમ દાગીનાવાલા, ભંડેરી લેબગ્રોન ડાયમંડના સીઇઓ ડો. સ્નેહલ પટેલ, દુબઇ ગોલ્ડ એન્ડ જ્વેલરી ગૃપના વાઇસ ચેરમેન ચંદુભાઇ સિરોયા અને ડાયમંડ એલીમેન્ટ્‌સના ડિરેકટર મહેશ સેનાનીએ ભાગ લીધો હતો.
ચંદુભાઇ સિરોયાએ જણાવ્યું હતું કે, સુરત આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રેઝન્ટ કરી શકે તેમ છે. આથી સુરતમાં જે રીતનું સ્પાર્કલ પ્રદર્શનનું આયોજન થયું છે તે પ્રકારનું આયોજન દુબઇમાં પણ કરવામાં આવે તો જ્વેલરી ક્ષેત્રમાં લોકોના મનમાં લેબગ્રોન ડાયમંડ પ્રત્યે જે ભય છે તે દૂર થઇ જશે. સુરતની સાથે દુબઇમાં પણ નેચરલ અને લેબગ્રોન ડાયમંડ વચ્ચેના તફાવતની સમજણ આપવા માટે એકઝીબીશન તથા સેમિનાર વિગેરે કરવા જોઇએ.
પ્રિયાંશ શાહે નેચરલ ડાયમંડ વિશે જણાવ્યું હતું કે, ભલે માર્કેટમાં લેબગ્રોન ડાયમંડ આવી ગયા છે પણ નેચરલ ડાયમંડનો વર્ગ જ અલગ છે. નેચરલ ડાયમંડ કાયમ માટે રહેવાનું જ છે. કારણ કે નેચરલ ડાયમંડ એ ધરતીના ભૂગર્ભમાં બનેલો છે અને તેનું આકર્ષણ કહો કે માંગ રહેવાની જ છે. નેચરલ ડાયમંડ ખરીદનાર આખો કલાસ જ જુદો રહેશે અને તેમાં કોઇ દિવસ ઘટાડો નહીં થશે.
સલીમ દાગીનાવાલાએ જણાવ્યું હતું કે, સુરતમાં જે ડાયમંડ જ્વેલરી બને છે તે વખાણવાલાયક છે. પરંતુ કયારેક એવું સાંભળવા મળે છે કે હોંગકોંગની કવોલિટી સારી છે ત્યારે આપને ત્યાં ડાયમંડ જ્વેલરીમાં બનતી ડિઝાઇન અને કવોલિટીમાં હજી સુધાર લાવવાની જરૂરિયાત લાગે છે અને ઇન્ડસ્ટ્રીને ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઉપર ચોકકસપણે પહોંચાડીશું.
ડો. સ્નેહલ પટેલે જણાવ્યું હતું કે, અત્યારે લેબગ્રોન ડાયમંડની જે ડિમાન્ડ છે તે આગામી વર્ષોમાં હજી વધવાની છે. જેને કારણે ઉત્તરોત્તર લેબગ્રોન ડાયમંડની કવોલિટીમાં પણ સુધારો થશે. કલ્પેશ વઘાસીયાએ જ્વેલરી મેન્યુફેકચરીંગ પ્રોસેસમાં ઉભી થનારી ચેલેન્જ વિશે જણાવ્યું હતું કે, જ્વેલરી મેન્યુફેકચરર્સ માટે ડાયમંડ માત્ર રો મટીરિયલ છે. ગ્રાહકની જે પ્રકારની ડિમાન્ડ હોય તે પ્રકારના ડાયમંડનો ઉપયોગ કરીને જ્વેલરી બનાવીને આપવામાં આવે છે.